ટેક્ષ્ટાઇલ હંમેશા કલસ્ટર બિઝનેસ રહેશે અને એના માટે નિકાસકારોએ ઓપન માઇન્ડ એપ્રોચ રાખવો પડશે, નિકાસ માટે ટેક્ષ્ટાઇલની કવોલિટી પેરામીટર્સ તેમજ ગ્રાહકોની જરૂરિયાતને સમજવી પડશે : નિકાસકારો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૯ જુલાઇ, ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘નિકાસની તકો’વિષે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાપડના નિકાસકારોની સફળ ગાથા ઉદ્યોગ સાહસિકો સમક્ષ વર્ણવાઇ હતી. ટેક્ષ્ટાઇલ નિકાસકારોમાં સુમિલોન ગૃપના ડીજીએમ એક્ષ્પોર્ટ હેમંત શાહ, કુંજડિયા ગ્લોબલ સર્વિસિસના એક્ષ્પોર્ટ મેનેજર આકાશ ઇટાલિયા, ભગત ટેક્ષ્ટાઇલ એન્જીનિયર્સના પાર્ટનર જિતેશ ભગત, આર્ટલાઇનના મેનેજિંગ ડાયરેકટર અમિષ શાહ, યસ ફેશન્સ પ્રા.લિ.ના ડાયરેકટર મનન ગોંડલિયા અને વી.એન. એક્ષ્પોર્ટ્સના ડાયરેકટર ભૂપેશ દુબે દ્વારા કાપડની નિકાસ માટે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હેમંત શાહે જણાવ્યું હતું કે, કાપડની નિકાસ કરતા પહેલા માર્કેટ રિસર્ચ ખૂબ જ જરૂરી છે. એક્ષ્પોર્ટ કરવાનું વિચારનારા ઉદ્યોગ સાહસિકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇને એક્ષ્પોર્ટની શરૂઆત કરી શકે છે. એના માટે ઉદ્યોગ સાહસિકો ચેમ્બર ઓફ કોમર્સ, ડીજીએફટી તથા પ્રમોશન કાઉન્સીલની મદદ લઇ શકાય છે. તેમણે કહયું હતું કે, સુરતમાં સારી કવોલિટી પ્રોડકટ બને છે અને એને વધારે વેઇટેજની સાથે એક્ષ્પોર્ટ કરી શકાય છે. એક્ષ્પોર્ટ માટે પેકીંગ અને લોજિસ્ટીક પેકેજ લઇ શકાય છે. તેઓ પોતે યુએસએ, યુકે અને યુરોપિયન કન્ટ્રીમાં જરી કસબનું એક્ષ્પોર્ટ કરે છે. તેમણે ઉદ્યોગ સાહસિકોને એક્ષ્પોર્ટ માટે દેશ તથા વિદેશમાં યોજાતા ટ્રેડ ફેરની મુલાકાત લેવાની સલાહ આપી હતી.
આકાશ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, પોતે જરી કસબનું મેન્યુફેકચરીંગ કરે છે અને શરૂઆતમાં બે મશીનથી ઉત્પાદન શરૂ કર્યું હતું. આજે તેઓ ૧ર૦ મશીનથી જરી કસબનું ઉત્પાદન કરી ૧પથી વધુ દેશોમાં તેનું એક્ષ્પોર્ટ કરી રહયા છે. જરી કસબનું ઉત્પાદન પહેલા તેમણે દોઢ વર્ષ સુધી માત્ર રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રિસર્ચ દરમ્યાન તેમણે ઘણું શીખવા મળ્યું હતું અને વિશ્વના નાના – નાના દેશોમાં પણ જરીની માર્કેટો હોવાનું જાણીને ત્યાં પણ જરીનું એક્ષ્પોર્ટ શરૂ કર્યું હતું. જરી ઉત્પાદનનો ર૦ ટકા માલ તેઓ મુંબઇ, કોલકાતા અને હૈદરાબાદના એજન્ટ થકી વિદેશોમાં એક્ષ્પોર્ટ કરે છે. જ્યારે ૧પથી વધુ દેશોમાં તેમના ૩૬થી વધુ ગ્રાહકો છે, જેઓને તેઓની માંગ પ્રમાણે જરીનું સીધું એક્ષ્પોર્ટ કરે છે.
જિતેશ ભગતે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરીનું પહેલું એક્ષ્પોર્ટ વર્ષ ર૦૧રમાં ટર્કી ખાતે કર્યું હતું. અત્યારે તેઓ ઉત્પાદનના ૬૦થી ૭ર ટકા મશીનરીનું એક્ષ્પોર્ટ કરી રહયા છે. ટેક્ષ્ટાઇલ મશીનરીના એક્ષ્પોર્ટમાં ટર્કી ખાતે તેઓ ર૩ ટકા હિસ્સો ધરાવે છે, જે આગામી વર્ષ સુધીમાં ૪૦ ટકા કરવાનું લક્ષ્ય રાખી તેઓ ટેક્ષ્ચ્યુરાઇઝ મશીનોનું ઉત્પાદન કરી એક્ષ્પોર્ટ કરી રહયા છે.
અમિષ શાહે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલનું ઉત્પાદન કરવા માટે પ્લાન્ટમાં બેસ્ટ મશીનરી હોવી જોઇએ. પહેલા તેમણે ડીલરોની મદદથી ટેક્ષ્ટાઇલનું એક્ષ્પોર્ટ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ બીટુબી માર્કેટમાં ગયા હતા અને સીધા ગ્રાહકો સુધી પહોંચ્યા હતા. ટેકનિકલ ટેક્ષ્ટાઇલનું એક્ષ્પોર્ટ કરતી વખતે ગ્રાહકોને વિશ્વાસમાં લેવાનું જરૂરી હોય છે. જ્યાં સુધી ગ્રાહક સંતુષ્ટ નહીં થાય ત્યાં સુધી તેઓને સેમ્પલો આપવા જોઇએ. ગ્રાહકને પ્રોડકટની લાઇફ મળવી જોઇએ. સારી કવોલિટીના ટેક્ષ્ટાઇલના ઉત્પાદન માટે તેમણે ફેકટરીમાં હાઇ સ્કીલ્ડ ટેકનિશિયનને રાખવાની ઉદ્યોગ સાહસિકોને સલાહ આપી હતી. તેમણે એકથી વધુ એક્ષ્પોર્ટરોને સાથે મળીને પણ ટેક્ષ્ટાઇલનું એક્ષ્પોર્ટ કરી શકાય તેમ સલાહ આપી હતી.
મનન ગોંડલિયાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ બ્રાન્ડને કાપડ વેચી શકાય તે માટે પ્રોડકટની કવોલિટી અપગ્રેડ કરવી પડશે. પ્રોડકટની કવોલિટી અપગ્રેડ કરતી વખતે પર્યાવરણ કે જેમાં જમીન, પાણી અને હવા પ્રદુષિત નહીં થાય તેનું ધ્યાન રાખવું પડશે. કાપડની કવોલિટી માટે લેબ ટેસ્ટીંગ જરૂરી છે. ટેક્ષ્ટાઇલ હમેશા કલસ્ટર બિઝનેસ રહેશે અને એના માટે ઓપન માઇન્ડ એપ્રોચ રાખવો પડશે. ટેક્ષ્ટાઇલમાં કોઇ એક કંપની ગ્લોબલી માર્કેટની જરૂરિયાતને પૂરી કરી શકે તેમ નથી, આથી બ્રાન્ડેડ કંપનીઓને ફેબ્રિક સપ્લાય/એક્ષ્પોર્ટ કરવા માટે ટીમ બનાવીને કામ કરવું પડશે.
ભૂપેશ દુબેએ જણાવ્યું હતું કે, એક્ષ્પોર્ટમાં નાનો ગ્રાહક ખુશ રહેશે તો તેના થકી અન્ય ગ્રાહકો મળશે. નાના ગ્રાહકો થકી જ એક્ષ્પોર્ટનો બિઝનેસ વધે છે. તેમણે વર્ષ ર૦૧૮ માં યાર્નનું પ્રથમ કન્ટેનર એક્ષ્પોર્ટ કર્યું હતું. તેમણે કહયું હતું કે, એક્ષ્પોર્ટ માટે ગ્રાહકોની માનસિકતા જાણીને તેમની જરૂરિયાત સમજવી જરૂરી છે. એના માટે તેઓ બાંગ્લાદેશમાં રહયા હતા અને સ્થાનિક ગ્રાહકોની તથા લોકોને સમજ્યા બાદ એક્ષ્પોર્ટ શરૂ કર્યો હતો. એક્ષ્પોર્ટ માટે ટેક્ષ્ટાઇલ પ્રોડકટની કવોલિટી પેરામીટર્સ સમજવા પડશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. કન્વીનર સંજય પંજાબીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડો. અનિલ સરાવગીએ સેમિનાર ઉપરાંત સવાલ–જવાબ સેશનનું સંલાલન કર્યું હતું. ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના ટેક્ષ્ટાઇલ નિકાસકારોએ જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.