તારીખ: ૧3/૦૭/૨૦૨૬, શનિવાર, આજે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી–વનવાસી વિસ્તાર ગામ વાસણા (કોશીન્દ્રા) ખાતે શ્રી શારદાપીઠ, દ્વારકા સંચાલિત શ્રી આનંદવર્ધન આશ્રમનું શુભ ઉદ્ઘાટન દ્વારકા શારદાપીઠાધીશ્વર, જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન કરકમલોથી સંપન્ન થયું.
ઉદ્ઘાટન મહોત્સવના પાવન અવસરે પૂજ્ય મહારાજશ્રીના દિવ્ય સાન્નિધ્યમાં આદિવાસી તથા વનવાસી સમાજના ૨૫ ભાઈ-બહેનોએ સ્વૈચ્છિક રીતે ગંગાજળ ગ્રહણ કરી તથા ભગવાન શ્રીરામના મંત્રની દીક્ષા પ્રાપ્ત કરીને પુનઃ સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો. તેમણે દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો કે તેઓ હિંદુ હતા, હિંદુ છે અને હંમેશાં સનાતન હિંદુ ધર્મના સિદ્ધાંતો અને પરંપરાઓનું પાલન કરશે.
આ પ્રસંગે પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રીએ નવનિર્મિત આશ્રમનું લોકાર્પણ કરીને પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે તેઓ છેલ્લા અનેક વર્ષોથી આ આદિવાસી વિસ્તારમાં ‘સ્વધર્માનયન યાત્રા’ દ્વારા સમાજ જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. હવે વાસણા ગામમાં શ્રી શારદાપીઠ, દ્વારકા સંચાલિત આ આશ્રમની સ્થાપનાથી આ સ્વધર્માનયન પ્રકલ્પને નવી શક્તિ અને વધુ મજબૂતી પ્રાપ્ત થશે.
મહારાજશ્રીએ વધુમાં જણાવ્યું કે હવે તેઓ વધુ વ્યાપક રીતે ગામે-ગામે પ્રવાસ કરીને આદિવાસી અને વનવાસી ભાઈ-બહેનોને પોતાના સનાતન ધર્મનો ત્યાગ કેમ ન કરવો જોઈએ તે અંગે જાગૃત કરશે તથા સનાતન હિંદુ ધર્મના આદર્શ અનુસાર જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન અને આશીર્વાદ આપશે.

