Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

ડોનેટ લાઈફ દ્વારા સુરતથી સૌથી નાની ઉમરના એટલે કે ૧૪વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના

The first case in the country of Donate Life donating both hands of the youngest child i.e. 14 year old braindead child from Surat

સુરત, ગુજરાત: દેશમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફના માધ્યમથી ડાયાલીસીસ કરાવતા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન સુરતની કિરણ હોસ્પીટલથી કરાવવામાં આવ્યું.

લેઉવા પટેલ સમાજના ૧૪ વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતમાંથી હ્રદયના દાનની સાડત્રીસમી અને ફેફસાના દાનની અગિયારમી ઘટના.

સુરત શહેર પોલીસના સહકારથી હાથ, હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા.

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિ.મીનું અંતર ૧૦૫ મીનીટમાં કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી ૩૨ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું.

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ધોરણ ૧૧ માં આભ્યાસ કરતા જુનાગઢના રહેવાસી ૧૫ વર્ષીય વિદ્યાર્થીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ આંધ્રપ્રદેશના ૪૪ વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાટણના રહેવાસી ૩૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

આંખોનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

રામપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા, કતારગામ મુકામે રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતો ૧૪ વર્ષીય ધાર્મિકને બુધવાર, તા.૨૭.૧૦.૨૦૨૧ના રોજ ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેસર વધી જવાને કારણે કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કર્યો હતો.

શુક્રવાર, તા.૨૯ ઓક્ટોબરના રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

ધાર્મિકના માતા-પિતા લલીતાબેન અને અજયભાઈએ જણાવ્યું કે અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની તકલીફ હતી અને છેલ્લા એક વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત તેને ડાયાલીસીસ કરાવવું પડતું હતું. ડાયાલીસીસની પીડા શું હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જયારે અમારો ધાર્મિક બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

The first case in the country of Donate Life donating both hands of the youngest child i.e. 14 year old braindead child from Surat

પરિવારજનો તરફથી લિવર, હૃદય, ફેફસાં અને આંતરડાના દાનની મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ નિલેશ માંડલેવાલાએ પરિવારજનોને સમજાવતા જણાવ્યું હતું કે દેશમાં ઘણા બધા વ્યક્તિઓના હાથ અકસ્માતે કપાઈ જાય છે અને તેઓને સામાન્ય જીવન જીવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જો તમે તમારા વ્હાલસોયા દીકરાના હાથોનું દાન કરવાની મંજુરી આપો તો કોઈકને હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મળી શકે. ત્યારે પરિવારજનોએ એકી અવાજે પોતાના હૃદય ઉપર પત્થર મુકીને દિલના ટુકડા એવા પોતાના વ્હાલસોયા બાળકના હાથનું દાન કરવાની મંજુરી આપી જણાવ્યું કે શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે અમારા બાળકના જેટલા પણ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરાવો. ધાર્મિકની બેન ત્વીશા જે ધોરણ-૫ માં અભ્યાસ કરે છે.

SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, ROTTO દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને, NOTTO દ્વારા ફેફસાં ચેન્નાઈની MGM હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. NOTTO દ્વારા આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ માટે દેશભરમાં એલર્ટ મુકવામાં આવ્યું હતું પરંતુ દેશામાં B+ve બ્લડગ્રુપના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાથી આંતરડાનું દાન થઇ શક્યું નહોતું.

સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિ.મીનું અંતર ૧૦૫ મીનીટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી ૩૨ વર્ષીય વ્યક્તિમાં ડૉ.નિલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. આ આ વ્યક્તિને ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લગવાને કારણે તેના બંને હાથ અને પગ કપાઈ ગયા હતા તે પુનામાં એક કંપનીમાં કલેરીકલ વિભાગમાં ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મુંબઈમાં હાથનું આ ચોથું ટ્રાન્સપ્લાન્ટ છે.

હાથનું ટ્રાન્સપ્લાન્ટ છ થી આઠ કલાકમાં કરવાનું હોય છે નહિ તો હાથ કામ કરતા બંધ થઇ જાય છે. તેથી બંને હાથને સમયસર મુંબઈ મોકલવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો અને ચાર્ટર વિમાન મારફતે હાથને ૧૦૫ મીનીટમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.

દેશમાં સૌપ્રથમ વખત ૨૦૧૫માં કોચીમાં અમૃતા હોસ્પિટલમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી દાન કરવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ દેશનું ૧૯મું હાથનું ટ્રાન્સપ્લાન્ટ છે. પરંતુ સૌથી નાની ઉમરના એટલે કે ૧૪ વર્ષના બાળકના હાથોનું દાન કરવામાં આવ્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના છે. તદઉપરાંત ફીસ્યુલાવાળા હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવી પણ દેશની સૌ પ્રથમ ઘટના છે.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાટણના રહેવાસી ૩૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ આંધ્રપ્રદેશના ૪૪ વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ધોરણ ૧૧ માં આભ્યાસ કરતા ૧૫ વર્ષીય વિદ્યાર્થીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવકને છેલ્લા દોઢ વર્ષથી હૃદય ની તકલીફ હતી અને તેના હૃદયનું પમ્પીંગ ૧૦ થી ૧૫ ટકા જેટલું હતું. આંખોનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

ગુજરાતમાંથી હૃદયદાનની પચાસમી અને ફેફસાંના દાનની તેરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા સાડત્રીસ હૃદય દાન અને ૧૧ જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. દેશમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફ દ્વારા સૌથી નાની ઉમરના એટલે કે ૧૪ વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવામાં આવ્યું છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા.

હાથ, હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. તેમજ અને લિવર સમયસર અમદાવાદ પહોચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન ૪૮ કિડની, ૨૮ લિવર, ૧૧ હૃદય, ૧૮ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૪૮ ચક્ષુઓ સહીત ૧૫૪ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથના દાન મેળવી દેશ અને વિદેશના કુલ ૧૪૧ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છે…વંદન છે… સ્વ. ધાર્મિક અને તેના માતા-પિતા લલીતાબેન અને અજયભાઈ અને સમગ્ર પરિવારજનોને તેમના આ નિર્ણય બદલ.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં ધાર્મિકના માતા-પિતા લલીતાબેન અને અજયભાઈ, દાદા લાલજીભાઈ, કરશનભાઈ, દાદી શારદાબેન, રસીસીલાબેન, નાના રાઘવભાઈ સોનાણી, નાની રંભાબેન તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને ડૉ.અપેક્ષા પારેખ, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ,કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીશ્રી રાકેશ જૈન, ટ્રસ્ટીશ્રી હેમંત દેસાઈ, સીઈઓ નીરવ માંડલેવાલા, સૌરભ મંધાની, ચિરાગ સહારિયા, અંકિત પટેલ, અસ્ફાક શેખ, રમેશ વઘાશિયા, સ્મિત પટેલ, નિલય પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, પ્રોગ્રામ કોઓર્ડીનેટર યોગેશ પ્રજાપતિ, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૮ કિડની, ૧૭૩ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૭ હૃદય, ૨૨ ફેફસાં અને ૩૧૨ ચક્ષુઓ સહીત કુલ ૯૬૦ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૭૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાન…જીવનદાન…


Related posts

નીતિન ગડકરી દ્વારા ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન એવોર્ડ એનાયત થયો

Rupesh Dharmik

ચમત્કારિક રિકવરી: સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે મોઝામ્બિક અને બાંગ્લાદેશના દર્દીઓની સ્પાઇન સર્જરી થઈ આંતરરાષ્ટ્રીય દર્દીઓને નવી આશા

Rupesh Dharmik

સુરતમાં યુરોલોજીમાં સફળતા: 84-વર્ષીય પુરુષ દર્દી પર સફળ ડ્રગ-કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી કરવામાં આવી

Rupesh Dharmik

ડિવાઇસ કલોઝર પદ્ધતિ થી દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ વખત ડો. સ્નેહલ પટેલ દ્વારા કેથલેબમાં દર્દીની સારવાર કરવામાં આવી

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

મગજના એન્યુરિઝમ (રક્ત વાહિનીના પરપોટા)થી પીડિત મહિલાની શેલ્બી હોસ્પિટલમાં સફળ સારવાર

Rupesh Dharmik

Leave a Comment