- પૂજ્ય બાપુએ ડક્કા ઓવારે એક લાખ માણસોની જંગી જનમેદનીને સંબોધી હતી
- સુરતમાં ખાદી ખૂટી પડશે એવું ગાંધીજીનું કથન સાચું પડ્યું હતું
સુરત: ગાંધીજીના નેતૃત્વમાં દાંડીયાત્રા તા.૦૧લી એપ્રિલે છાપરાભાઠાથી અશ્વિનીકુમારનો પૂલ ઓળંગી સુરતની સરહદે પહોંચી, જ્યાં દસ હજારથી વધારે લોકો ભવ્ય દાંડીપથિકોના ભવ્ય સ્વાગત માટે એકત્ર થયા હતા. તાપીના પુલ ઉપર લેવાતો કર માનવ મેદનીમાં અટવાઈ ગયો હતો. ૧લી એપ્રિલની સાંજે સંઘ વરાછારોડ ઉપરના શેઠ નાથુભાઈ નારણદાસ અને શેઠ ડાહ્યાભાઈ હરગોવનદાસને બંગલે પહોંચ્યો અને ત્યાં ભોજન અને આરામ કર્યા બાદ સાંજે ડક્કા ઓવારે જંગી જનસભા યોજાઈ હતી. સાબરમતીની સભા પછી આ સભા સૌથી વિશાળ હતી. એક લાખ લોકો ગાંધીજીને સાંભળવા આવ્યાં હતાં. જેમાં દસ હજાર જેટલી મહિલાઓ સામેલ હતી. છેક અમદાવાદ, મુંબઈ, વડોદરાથી લોકો સપરિવાર આવ્યાં હતાં. લોકોની ધારણા હતી કે, સરકાર હવે ગાંધીજીને સુરતથી આગળ વધવા નહિ દે, અહીંથી જ ધરપકડ કરશે એવી કલ્પનાથી પ્રેરાઈને લોકો સભામાં આવ્યાં હતાં. એ દિવસે સુરતના ખાદીભંડારમાં ખાદીની એક પણ ટોપી બચી ન હતી. ‘લોકો ખાદી માંગશે અને ખાદી ખૂટી પડશે એવો પણ એક દિવસ આવશે’ એવા ગાંધીજીના એક સમયના શબ્દો સુરતમાં શબ્દશ: સાચા પડ્યા.
એક પણ પોલીસની મદદ વિના સભામાં અદ્દ્ભૂત શાંતિ અને વ્યવસ્થા જળવાયાં હતાં તે જોઈને ગાંધીજી પણ ખૂબ પ્રસન્ન થયા. સભામાં અંધ કવિ હંસરાજે “ટોપીવાળાનાં ટોળાં ઉતર્યા” એ ગીત ફીડલ સાથે ભાવપૂર્વક ગાયું હતું.
ગાંધીજીના સમર્થનમાં સુરતના કુલ ૧૪૯ પટેલોએ રાજીનામા આપ્યાં હતાં. જેમાં બારડોલી તાલુકાના ૭૦, ઓલપાડ તાલુકાના ૪૬, જલાલપોરના ૧૫, ચોર્યાસી તાલુકાના ૨, ચીખલીના ૭ અને માંડવીના ૭ ગામના પટેલોએ રાજીનામા ધર્યા હતાં. ઉપરાંત ૯૭૦ સૈનિકોએ પણ રાજીનામા આપ્યાં હતાં.
સભામાં વાંઝ ગામના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની કલ્યાણજીભાઇ મહેતાએ સૂરત જિલ્લાની લડતનું સરવૈયું રજૂ કરતાં કહ્યું હતું કે “૧૯૨૧માં હિંદ સ્વરાજ અપાવવાની આપણે પ્રતિજ્ઞા કરી હતી તે ઋણ હજી બાકી રહ્યું છે. ૧૯૩૦માં આજે ફરીથી આ જિલ્લામાંથી લડતનાં મંડાણ થાય છે એ આપણું અહોભાગ્ય છે. હિંદની ગુલામીનાં મૂળ અંગ્રેજોની કોઠીથી પહેલવહેલાં સૂરતમાં નંખાયા હતાં, એટલે સ્વાતંત્ર્ય સંગ્રામ માટે આ જિલ્લો પસંદ થયો એ સુયોગ્ય છે.
કલ્યાણજીભાઈએ કહ્યું કે, જિલ્લામાં મીઠું બનાવી શકાય એવાં ઘણાં સ્થાનો છે. ઓલપાડ તાલુકામાં મોરા, સુવાલી, પિંજરત, ઇચ્છાપોર અને મોટા કુદિયાણા, ચોર્યાસી, ભીમરાડ, ખજોદ, જલાલપોરમાં દાંડી, આટ, કરાડી, ઓંજલ અને કાંકરાફળીયું અને વલસાડ તાલુકામાં ધરાસણા, ઉંટડી વગેરે છે.