Republic News India Gujarati
ગુજરાતબિઝનેસ

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્‌ઘાટન થયું

Parshottam Rupala, SGCCI, Food and Agritech Expo 2023

ભારત દેશ આખા વિશ્વને મિલેટ્‌સ પૂરુ પાડશેઆથી મિલેટ્‌સને પ્રોત્સાહન આપો અને એકત્રિત થઇને ખેતી કરો : પરષોત્તમ રૂપાલા

જીવનભર તંદુરસ્ત રહેવું હોય તો પ્રકૃતિ સાથે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કૃષિ છેકૃષિ એ માત્ર અન્ન ઉત્પન્ન કરતું નથી પણ જીવન જીવવાની પદ્ધતિ છે : પ્રફુલ પાનશેરીયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશ્નરેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી–એસટી હબના સહયોગથી તા. રપ/૦ર/ર૦ર૩ થી ર૭/૦ર/ર૦ર૩ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩’નું ભવ્ય પ્રદર્શન યોજાયું છે. એકઝીબીશન સવારે ૧૦ઃ૦૦ થી સાંજે ૬ઃ૦૦ કલાક સુધી ખૂલ્લું રહેશે.

આજે સવારે ૯:૦૦ કલાકે એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ઉદ્‌ઘાટક તરીકે પધારેલા ભારત સરકારના કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયા તથા અતિથિ વિશેષ તરીકે ડીઆઇટીપી/થાઇ ટ્રેડ સેન્ટર, મુંબઇના એકઝીકયુટીવ ડાયરેકટર સુપાત્રા સ્વાએન્ગશ્રી અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા– મુંબઇના કોન્સુલ જનરલ (ઇકોનોમિકસ) તોલ્હાહ ઉબૈદી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયાં હતાં. સુરતના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પણ હાજર રહયાં હતાં.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના સશકિતકરણથી દેશને નવા ભારતની પરિકલ્પનાને સાકાર કરવા જોર આપી રહયાં છે. વૈશ્વિક સ્તરે કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી થઇ રહી છે ત્યારે આ તબકકે યોજાયેલું ત્રિદિવસીય પ્રદર્શન સીમાચિહન બની રહેશે એવી અપેક્ષા છે. આ પ્રદર્શનમાં બિયારણથી લઇને બજાર સુધીની શ્રૃંખલાનો સમાવેશ કરાયો છે. જેથી કરીને કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને ગુણવત્તા વધારવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે.

ઓર્ગેનિક ફૂડનું ચલણ વધી રહયું છે ત્યારે કુદરતી રીતે લાકડાનો ઉપયોગ કરીને કાઢવામાં આવેલા તેલ (દા.ત. કચ્ચી ઘાણી તેલ જેવા)ને સ્પ્રે ફોર્મેટમાં પ્રથમ વખત ભારતમાં મિલિયર કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન થકી ખોરાક અને કૃષિ ક્ષેત્રમાં આવી રહેલા આમૂલ પરિવર્તનો, વસ્તુઓ (પ્રોડકટ્‌સ) અને નવી ટેકનોલોજી અંગે ચોકકસપણે જનજાગૃતિ આવી શકશે. તદુપરાંત ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. આનાથી ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે.

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ‘ગામડું આબાદ તો દેશ આબાદ’ આ સૂત્રને ભારત સરકારે કૃષિ અને ગ્રામ્ય પ્રત્યેના હકારાત્મક અભિગમથી સાર્થક કરી બતાવ્યું છે. ભારત સરકારે એગ્રીકલ્ચરનો આખો દૃષ્ટિકોણ બદલી નાંખ્યો છે. કૃષિ ક્ષેત્રે એક વર્ષનું બજેટ રૂપિયા ૧ લાખ ૩૧ હજાર કરોડ ફાળવ્યું છે. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં રૂપિયા ર લાખ ર૦ હજાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવ્યા છે. આ ઉપરાંત સહકારી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને સ્વતંત્ર દરજજો આપ્યો છે.

કોરોનાએ આખા વિશ્વને હંફાવ્યું છે ત્યારે એવા સંજોગોમાં ભારતનું અર્થતંત્ર વૈશ્વિક ધોરણે પ્રગતિ કરીને છઠ્ઠા નંબર પરથી પાંચ નંબર પર આવ્યું છે. કોરોનામાં ઇમ્યુનિટી શબ્દ ઘણો પ્રચલિત થયો હતો અને આ ઇમ્યુનિટી વધારવા માટે લોકો દવાઓ લેતા હતા, પરંતુ ભારતનું ઓર્ગેનિક ફૂડ એટલે જ ઇમ્યુનિટી છે. બાજરી, રાગી અને જ્વારીના રોટલા એટલે પ્યોર ઓર્ગેનિક ફૂડ છે.

વડાપ્રધાને બાજરી અને મોટા અનાજને શ્રીઅન્ન તરીકે નામ આપ્યું છે અને તેને મિલેટ્‌સ તરીકે પ્રસિદ્ધ કરવા યુનોને સૂચન કર્યું હતું અને યુનોએ આ બાબતને સ્વીકારી પણ લીધી છે. હવે સમય એવો આવી ગયો છે કે ઓર્ગેનિક ફૂડ અને આયુર્વેદમાં ભારત જે કહેશે તે વિશ્વ સાંભળશે. તેમણે કહયું કે સાયન્સ ટેકનોલોજીથી ઘણું બધું થશે પણ ચોખા, ઘઉ અને કઠોળ એ જમીનમાંથી જ પેદા કરવા પડશે. તેમણે એકત્રિત થઇને ખેતી કરવા માટે હાંકલ કરી હતી. એના માટે નવી વ્યવસ્થા ઉભી થઇ ચૂકી છે અને ડ્રોન સુધીની મંજૂરી સરકાર આપી રહી છે. ભારત માત્ર એક એવો દેશ છે કે જે આખા વિશ્વને મિલેટ્‌સ પૂરુ પાડશે, આથી તેમણે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામને મિલેટ્‌સને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.

ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, જીવનભર તંદુરસ્ત રહેવું હોય તો પ્રકૃતિ સાથે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કૃષિ છે. ગ્રામિણ જીવન પદ્ધતિ સૌથી સારી છે. શરીર પાચનતંત્રની સાથે શું આરોગવું? એ ભારત સિવાય વિશ્વમાં બીજે કયાંય નથી. ભારતના ખેડૂતો જે અન્નનું ઉત્પાદન કરે છે એવા શ્રીઅન્નની આખું વિશ્વ માંગ કરશે. કૃષિ એ માત્ર અન્ન ઉત્પન્ન કરતું નથી પણ જીવન જીવવાની પદ્ધતિ છે. ભવિષ્યમાં હવે ગાય આધારિત ખેતી તરફ પણ પાછું વળવું પડશે.

ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ (ઇકોનોમિકસ) તોલ્હાહ ઉબૈદીએ જણાવ્યું હતું કે, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વર્ષ ર૦ર૧માં ર૧ બિલિયન યુએસ ડોલર અને વર્ષ ર૦રરમાં ૩ર બિલિયન યુએસ ડોલરનો બિઝનેસ થયો હતો. આ બિઝનેસને હવે પ૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા માટે ભારત અને ઇન્ડોનેશિયા પ્રયાસ કરી રહયાં છે.

સુપાત્રા સ્વાએન્ગશ્રીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા એકઝીબીશનમાં થાઇ પેવેલિયન બનાવવામાં આવ્યું છે અને ત્યાં થાઇ પ્રોડકટને લોકો સમક્ષ મુકવાની તક મળી છે. જ્યાં હેન્ડીક્રાફટ, કિચનવેર, થાઇ ફૂડ અને ટુરીઝમનું પ્રદર્શન કરાશે.

ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે. બી. પિપલીયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ૧૧પ જેટલા એકઝીબીટર્સે પોતાના સ્ટોલ લગાવ્યા છે. જેમાં એકજ સ્થળે સુરતીઓને ૬પ૦ થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ્‌સ ર૦ર૩ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એના ભાગ રૂપે થીમ પેવેલિયન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘થાઇ પેવેલિયન’ અલગથી ઉભું કરાયું છે. જેમાં થાઇલેન્ડના ૪૦થી વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. તેઓ થાઇલેન્ડ વીક રોડ શો – ર૦ર૩ નું પણ પ્રદર્શન કરી રહયાં છે.

ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૩ ના ઉદ્‌ઘાટન સમારોહમાં ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની આ પ્રદર્શન કૃષિ અને ખાદ્ય ક્ષેત્ર માટે વ્યાપારની નવી દિશા આપશે તેવો મત વ્યકત કર્યો હતો. સમારોહમાં માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા અને ચેમ્બરના ઓલ એકઝીબીશન કન્વીનર બિજલ જરીવાલા હાજર રહયાં હતાં.

ચેમ્બરના ગૃપ ચેરમેન પરેશ લાઠીયા તથા ડો. સંજય ડુંગરાનીએ ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ચેમ્બરના ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૩ ની સફળતા માટે મોકલવામાં આવેલો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો. સમારોહમાં આગામી વર્ષ ર૦ર૪માં યોજાનારા ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪ એકઝીબીશનની જાહેરાત કરાઇ હતી અને મહાનુભાવોના હસ્તે એકઝીબીશન ગાઇડનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.


Related posts

જૈનમ બ્રોકિંગ લિમિટેડે “ટ્રેડર્સ મહાકુંભ” થીમ આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ  5.0 નું 15-16 માર્ચ ના રોજ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ડુમસ ખાતે આયોજન

Rupesh Dharmik

લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું

Rupesh Dharmik

કર્ણાટક ટુરીઝમને TTF અમદાવાદ 2023માં ડિઝાઇન અને ડેકોરેશન માટે શ્રેષ્ઠ સ્ટેન્ડ એવોર્ડ મળ્યો

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

શું તમે લાલ અને કાળા રંગના થ્રી વ્હીલર ટેમ્પોને શહેરમાં ફરતા જોયા છે

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

Leave a Comment