સાયન્સ સીટી પ્રકલ્પ રિક્રિએશન અને ક્રિએટીવીટીનો અદભૂત સંગમ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
સાયન્સ સીટીમાં જ્યારે બાળકો કિલ્લોલ કરશે ત્યારે તેની ભવ્યતા ઓર વધશે : વડાપ્રધાનશ્રી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાયન્સ સીટી ખાતે એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કના વર્ચ્યૂઅલ લોકાર્પણ પ્રંસગે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સાયન્સ સીટી પ્રકલ્પ એ ક્રિએટિવીટી અને રિક્રિએશનનો અદભૂત સંગમ છે. તેમણે ઉમેર્યું હતું કે બાળકોના સ્વભાવિક વિકાસ માટે ક્રિએટિવ સ્પેસ મળવી જોઈએ અને સાયન્સ સીટી આ ખોટ પૂરશે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતના ૮ વિકાસ પ્રકલ્પોનું દિલ્હીથી વર્ચ્યૂઅલી લોકાર્પણ કરતાં કહ્યું હતું કે, સાયન્સ સીટીમાં આકાર પામેલી રોબોટિક ગેલેરી રોબોટિક ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા યુવાનોને પ્રોત્સાહિત કરશે અને સંરક્ષણ,ખેતી, ઉદ્યોગ વગેરે જેવા ક્ષેત્રોમાં રોબોટિક ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ ઉભી કરશે. તેમણે સાયન્સ સીટીના નિર્માણ માટે ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા કહ્યું કે, જ્યારે મેં સોશિયલ મીડિયા પર સાયન્સ સીટીના ફોટો શેર કર્યા ત્યારે લોકોને એ વિશ્વાસ ન હતો બેસતો કે આ ફોટોગ્રાફ અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સીટીના છે.તેઓ એવું માનતા હતા કે આ કોઈ વિદેશના ફોટો છે.
તેમણે ઉમેર્યું હતું કે, બાળકો મા-બાપ પાસે રમકડા તરીકે કાં તો રોબોટની માગણી કરે છે કાં તો પશુ-પક્ષીની. ત્યારે સાયન્સ સીટી બાળકની જિજ્ઞાસા સંતોષવામાં મા-બાપને મદદરુપ બનશે.
અગાઉ અર્બન પ્લાનિંગને માત્ર લક્ઝરી સાથે જોડવામાં આવતું હતું, તેથી “ક્વોલીટી પબ્લીક સ્પેસ” અને “ક્વોલીટી પબ્લીક લાઈફ” થી આપણે વંચિત હતા પણ હવે આધુનિક આયોજનમાં સંપૂર્ણ ઈકોસિસ્ટમને કેન્દ્રમાં રાખી આયોજન કરવામાં આવે છે, તેમ પણ વડાપ્રધાનીશ્રીએ ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, આજનો દિવસ યુવા ભારતની ભાવના અને સંભાવનાઓનું પ્રતિક છે અને નવા ભારતની નવી ઓળખની દિશાની શ્રુંખલામાં એક નવી કડી છે. તેમણે આજના પ્રકલ્પો ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવમાં વૃદ્ધિ કરનારા ગણાવ્યા હતા.
વડાપ્રધાનશ્રીના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વીની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબહેન જરદોશ તેમ જ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ સહભાગી થયા હતા.
વડાપ્રધાનશ્રીના લોકાર્પણ પ્રસંગે સાયન્સ સીટીના વિજ્ઞાન ભવન ખાતે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવશ્રી વિજય નહેરા ઉપરાંત ઘાટલોડિયા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.